04/05/2024

ગોહિલવાડમાં ડિહાઈડ્રેશનના કેસમાં થઈ રહેલો ચિંતાજનક વધારો

0

Updated: Mar 31st, 2024

– ઉનાળામાં સ્વાસ્થ્યની ખાસ કાળજી જરૂરી

– લીંબુ શરબત, છાસ, તાડફળી, નાળિયેરનું પાણી,ખાંડ-મીઠાનું દ્રાવણ અને ઓ.આર.એસ.નો મહત્તમ ઉપયોગ કરવા તબીબોની તાકિદ

બોટાદ : ગોહિલવાડમાં દિન પ્રતિદિન કાળઝાળ ગરમીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. સવારથી મોડી સાંજ સુધી ખાસ કરીને બપોરના અરસામાં સૂર્યનારાયણ રોદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યા હોય શહેરના રસ્તાઓ ઉપરાંત જિલ્લાના હાઈવે સુમશામ જણાઈ રહ્યા છે. લોકો બપોરની આકરી ગરમીના લીધે બીનજરૂરી રીતે  બહાર નિકળવાનું પણ ટાળી રહ્યા છે. ગરમી વધતા ગોહિલવાડમાં ડીહાઈડ્રેશનના કેસમાં ચિંતાજનક પ્રમાણમાં વધારો થઈ રહ્યો હોય આરોગ્યનિષ્ણાંતો દ્વારા ઉનાળામાં સ્વાસ્થ્યની ખાસ કાળજી લઈ માટલાનું પાણી પીવાનો આગ્રહ કરાઈ રહ્યો છે.

ગોહિલવાડમાં ઉનાળો ધીમે ધીમે રંગ દેખાડી રહ્યો હોય શહેરીજનોએ ખાસ કરીને માસુમ બાળકો,  સિનીયર સિટીઝન તેમજ બીમાર વ્યકિતઓએ સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવી જરૂરી છે. સૌ કોઈએ માટલાનું પાણી પીવાનો આગ્રહ રાખવો જરૂરી છે. શરીરને હાઇડ્રેટ કરવા માટે પુષ્કળ પાણી પીવું જોઈએ, બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો તથા અશકત અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ સંભાળ રાખવી જરૂરી છે. ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. લૂ લાગવાના લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર કે અન્ય ડોકટરની તાત્કાલિક સારવાર લેવી અને લૂ થી બચવા માટે જરૂરી પગલાઓ તાત્કાલિક ઉઠાવવા જરૂરી છે. લૂ લાગવાથી બચવાના ઉપાયો જોઈએ તો ગરમીમાં શકય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા જોઈએ,  ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો જરૂરી છે. ભીના કપડાંથી માથું ઢાંકી રાખવુ જરૂરી છે.  વારંવાર પાણી પીવું ઉપરાંત  લીંબુ શરબત, મોળી છાશ, તાડફળી અને નાળિયેરનું પાણી, ખાંડ, મીઠાનું દ્રાવણ, ઓ.આર.એસ. વગેરે પુષ્કળ પ્રમાણમાં પીવા જોઈએ, નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો તથા અશકત અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી લેવી. ઉપરાંત બજારમાં મળતો ખુલ્લો, વાસી ખોરાક, બરફ ખાવાનું ટાળો, લગ્ન પ્રસંગે દૂધ-માવાની આઈટમ ખાવી નહીં. ચા-કોફી અને દારૂના સેવનથી લુ લાગવાની શકયતા વધે છે. તેથી તેનું સેવન ટાળવું. તાજા ફળોના રસનું સેવન કરવું હિતાવહ છે. મહત્તમ માટલાનું પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ.   ડિહાઇડ્રેશન વધારતા કેફીન અથવા આલ્કોહોલ ધરાવતાં પીણાં ટાળવા જોઈએ એટલુ જ નહિ તકેદારીના અન્ય પગલા લેવા પણ અનુરોધ કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *