જામનગરમાં શાક માર્કેટ વિસ્તારમાં શાકની બે લારીવાળાઓ વચ્ચે તકરાર બાદ હુમલો, ત્રણ લારી વાળા સામે ફરિયાદ
Updated: Mar 30th, 2024
Crime in Jamanagar : જામનગરમાં શાક માર્કેટ વિસ્તારમાં શાકભાજીની રેકડી ઉભી રાખવાના પ્રશ્ન બે લારીવાળાઓ વચ્ચે તકરાર થયા પછી એક લારીવાળા પર અન્ય લારી સંચાલક ત્રણ શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.
આ ફરિયાદના બનાવની વિગતો એવી છે કે જામનગરમાં વાઘેરવાડા વિસ્તારમાં રહેતા અને શાક માર્કેટ વિસ્તારમાં શાકભાજી ની રેકડી ઉભી રાખતા એક યુવાને પોતાના ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ડુંગળીની રેકડી કાઢતા નઇમ ઉર્ફે નઇમો યુસુફભાઈ ગોળવાલા, સબીર ઉર્ફે શબલો યુસુફભાઈ ગોળવાલા અને મહમદ ઉર્ફે મામલો હાંડી સામેવ હુમલો કરવા અંગેની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન કાસીમ વાઘેર પોતાની શાકભાજીની રેકડી કાઢીને એક સ્થળે ઉભો રહે છે, જ્યાં આરોપી નઈમ કે જે પોતાની ડુંગળીની રેકડી લઈને આવી પહોંચ્યો હતો, અને રેકડી ઉભી રાખવાના પ્રશ્ને તકરાર કર્યા પછી હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે.