04/05/2024

ગુજરાતમાં ફરી ‘હજૂરિયા, ખજૂરિયા અને મજૂરિયા’ સૂત્ર ગાજ્યું, આ બેઠક પર ભાજપમાં આંતરિક વિરોધ

0

Updated: Mar 30th, 2024


Lok Sabha Elections 2024: વડોદરાના લોકસભા બેઠક માટેના ઉમેદવાર તરીકે રંજનબેન ભટ્ટને બદલીને નવ યુવાન હેમાંગ જોષીના નામની જાહેરાત કરવામાં આવતા ભારતીય જનતા પાર્ટીમાં ફરી એકવાર હજુરીયા, ખજૂરિયા અને મજૂરિયાનું સૂત્ર પ્રચલિત થયું છે અને મજૂરિયા કાર્યકર્તાઓએ આક્રોશ સાથે બીજેપી હાઈ કમાન્ડના ઘમંડથી આઝાદી મળે તેવા મેસેજ વાયરલ કર્યા છે.

શંકરસિંહ વાઘેલાએ બળવો પોકાર્યો હતો

ગુજરાતના રાજકારણમાં થોડા વર્ષ પૂર્વે ભાજપના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ ભાજપ સાથે છેડો ફાડી બળવો કરીને મુખ્યમંત્રી પદ મેળવ્યું હતું. તે સમયે ધારાસભ્યોને ખાસ વિમાનમાં ખજુરાહો લઈ જવાયા હતા. આ દરમિયાન જે ધારાસભ્યો કેશુભાઈ સાથે રહ્યા હતા તેઓ હજૂરિયા અને શંકરસિંહ સાથે ગયા તેઓ ખજૂરિયા તરીકે ઓળખાયા હતા. જો કે જે ધારાસભ્યો ભાજપ સાથે જ રહ્યા અને કોઈ જૂથમાં નહોતા અને વર્ષોથી ભાજપને આગળ લાવવામાં મહેનત કરતા હતા તેમને મજૂરિયા તરીકે ઓળખાયા હતા.

હજૂરિયા ખજૂરિયા અને મજૂરિયાની અલગ ઓળખ શરૂ થઈ હતી

ભાજપમાં તે સમયે હજૂરિયા ખજૂરિયા અને મજૂરિયા કાર્યકર્તાઓની અલગ ઓળખ શરૂ થઈ ગઈ હતી. ત્યારે હવે ફરી એકવાર વડોદરા બેઠક પર ઉમેદવાર તરીકે સતત ત્રીજી વાર રંજનબેનના નામની જાહેરાત થતા કેટલાક તત્ત્વોએ ઉમેદવાર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર પ્રચાર શરૂ કર્યો હતો. આ દરમિયાન પાંચ વિધાનસભા બેઠકના સંમેલન થયા અને તેમાં કાર્યકર્તાઓનો કોઈ વિરોધ ન હતો. આમ છતાં, પાર્ટી હાઈ કમાન્ડે રંજનબેનના નામનો છેદ ઉડાડી નવા ઉમેદવાર તરીકે હેમાંગ જોશીના નામની જાહેરાત કરી અને ભાજપમાં ભાંજગડ વધી ગઈ. હવે તેનો વિરોધ પણ શરૂ થયો છે ત્યારે સોશિયલ મીડિયા પર મજૂરિયા કાર્યકર્તાઓના નામે મેસેજ વાયરલ થયો છે.

ઉમેદવાર ફરી બદલવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ

આ મેસેજમાં ભાજપ હાઇકમાન્ડને એટલો ગર્વ છે કે તેમને લાગે છે કે મોદીના કારણે વડોદરાના લોકો કોઈને પણ વોટ આપી દીધા છે. આ કામગીરી માટે ભાજપ પાસે આરએસએસ એબીવીપી અને ભાજપના 50,000 થી વધુ સક્રિય કાર્યકરો વર્ષોથી કામ કરતા રહ્યા છે અને ઉમેદવારને જીતાડવા સખત મહેનત કરી છે. પાર્ટી હાઈ કમાન્ડ માને છે કે ભાજપના કાર્યકર્તાઓ બધા મજૂર છે તેઓ કોઈપણ ઉમેદવાર પસંદ કરશે અને તેના માટે મજૂરી કરશે ત્યારે નવા ઉમેદવાર જે નક્કી થયા છે તે વડોદરાના નથી. અહીં માત્ર ભણવા માટે આવ્યા હતા અને ભાજપમાં માત્ર ત્રણ વર્ષથી સક્રિય બન્યા છે અને વરિષ્ઠ આગેવાનો અને ભાજપના વફાદાર વરિષ્ઠ કાર્યકર્તાઓને ટાળીને તેમને આટલું મોટું પદ આપવામાં આવ્યું છે. ત્યારે ભાજપ હાઈ કમાન્ડના ઘમંડને હરાવીએ અને આરએસએસ ભાજપના સમર્પિત કાર્યકરોની કિંમતનો અહેસાસ કરાવીએ. સોશિયલ મીડિયા પર મજૂરિયા કાર્યકર્તાઓનો આક્રોશ હવે ધીરે ધીરે વધી રહ્યો છે. તેથી ચર્ચા છે કે, આગામી દિવસમાં ફરી એકવાર ભાજપ હાઈ કમાન્ડ અને પ્રદેશ પ્રમુખ ડેમેજ કંટ્રોલ કરવા પ્રયત્ન કરશે કે પછી ઉમેદવાર બદલવાની પ્રક્રિયા કરવી પડશે?



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *