જામનગરમાં પંચવટી સોસાયટી વિસ્તારમાં સાયકલ સવાર પ્રૌઢનું બાઇકની ઠોકરે ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ
Updated: Mar 29th, 2024
Accident in Jamnagar : જામનગરમાં પંચવટી સોસાયટી વિસ્તારમાંથી સાયકલ પર જઇ રહેલા એક પ્રૌઢને પુર ઝડપે આવી રહેલા બાઈક ચાલકે ઠોકરે ચડાવી ઇજા પહોંચાડતાં તેઓનું મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં શાંતિનગર શેરી નંબર 6 ના છેડે રહેતા રાજેન્દ્રસિંહ જાડેજા નામના 54 વર્ષના પ્રૌઢ કે જે ઓ ગઈકાલે બપોરે એકાદ વાગ્યાના અરસામાં પોતાની સાઇકલ લઈને પંચવટી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા.
જે દરમિયાન ભૂતિયા બંગલા પાસે આવી રહેલા જી.જે.3 ડીએચ 5681 નંબરના બાઈકના ચાલકે તેઓને અડફેટમાં લઈ લીધા હતા. જેથી ગંભીર ઇજા થતાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું મૃત્યુ નીપજ્યું હતું.
આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ઉપરોક્ત બાઈક ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.