જામનગરમાં રેકડીવાળાઓ વચ્ચે તકરાર : સામ-સામે લાકડીઓ વડે હુમલામાં ત્રણ વ્યક્તિના માથા ફૂટયા, બંન્ને પક્ષની પોલીસ ફરિયાદ
Updated: Apr 16th, 2024
image : Freepik
Crime News Jamnagar : જામનગરમાં સજુબા સ્કૂલ વિસ્તારમાં ફ્રૂટ-શાકભાજી વગેરેની રેકડી રાખવાના પ્રશ્ને બે રેકડી ચાલકો વચ્ચે તકરાર થઈ હતી, અને એકબીજાના જૂથમાં એકત્ર થઈ સામસામે હુમલા કરાયા હતા, જેમાં બંને વખતે પાંચ વ્યક્તિ ઇજાગ્રસ્ત બન્યા છે, જેમાં ત્રણ વ્યક્તિના માથા કૂટ્યા છે ને ટાંકા લેવા પડ્યા છે. જે મામલે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સેન્ટ્રલ બેન્ક વિસ્તારમાં રહેતા અને ફ્રૂટની લારી ચલાવતા પિયુષ પ્રવીણભાઈ દાવડા નામના 24 વર્ષના રેંકડી ધારકે રેકડીને સાઈડમાં હટાવવાના મામલે પોતાના ઉપર તેમજ ભાઈ જીગ્નેશ, અને પિતા પ્રવીણભાઈ પર હુમલો કરી દઇ ગંભીર ઇજા પહોંચાડવા અંગે બાજુમાં જ રેકડી ચલાવતા કાંતિ મનસુખભાઈ નકુમ, તેના ભાઈ સંજય મનસુખભાઈ નકુમ, અને પિતા મનસુખ જયરામભાઈ નકુમ સામે ફરિયાદ નોંધાવી છે.
જે હુમલામાં પોતાને માથામાં ઇજા થઇ હોવાથી 10 ટાંકા લેવા પડ્યા છે, ત્યારે તેના પિતાને પણ માથામાં ઇજા થઇ હોવાથી પાંચ ટાંકા લેવા પડ્યા છે. અને તમામની જી.જી.હોસ્પિટલમાં સારવાર ચાલુ છે.
આ પ્રકરણમાં સામા પક્ષે સંજય મનસુખલાલ નકુમ નામના રેકડી ધારકે પોતાના ઉપર તેમજ પોતાના ભાઈ અને પિતા પર હુમલો કરી ઇજા પહોંચાડવા અંગેની રેંકડીધારક જીગ્નેશ અને પિયુશભાઈ સામે વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં ફરિયાદી સંજયને પણ માથામાં ઇજા થઈ હોવાથી 10 ટાંકા લેવા પડ્યા છે, અને તેઓની પણ સારવાર ચાલી રહી છે.
ઉપરોક્ત મારામારીના બનાવ અંગે પોલીસે બંને પક્ષે સામ સામે ફરિયાદો નોંધી છે, અને વધુ તપાસ હાથ ધરી છે.