04/05/2024

સુરેન્દ્રનગર જૂના જંક્શન પાસેના ઓવરબ્રિજનો એક તરફનો ભાગ બેસી ગયો

0

Updated: Mar 31st, 2024

– ચાર વર્ષ પહેલા નિર્માણ પામેલા

– પાલિકાએ ટ્રેક્ટરની આડશ મૂકી સમારકામ હાથ ધર્યું : કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ પગલાં ના લેવાતા લોકોમાં રોષ 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરમાં કરોડોના ખર્ચે જૂના જંક્શન પાસે રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવ્યો હતો. તેના ચાર વર્ષના ટુંકા ગાળામાં જ બ્રિજ પર  ચારથી પાંચ વખત ગાબડા પડી ગયા છે. તેમજ હાલમાં બ્રિજનો એક તરફનો ભાગ ચારેક ફૂટ જેટલો બેસી ગયો છે. જ્યારે પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ પગલાં લેવાના બદલે ટ્રેક્ટર આડું મુકીને સમારકામ હાથ ધરતા શહેરીજનોમાં રોષ વ્યાપ્યો છે. 

સુરેન્દ્રનગર શહેરની વકરતી ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવા હેતુથી શહેરના જૂના જંકશન પાસે પાલિકા તંત્ર દ્વારા વર્ષ ૨૦૧૯માં રેલવે વિભાગ સાથે સંકલન કરી અંદાજે રૂા.૪૪ કરોડથી વધુના ખર્ચે ઓવરબ્રિજનું નિર્માણ કરી તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 

 પરંતુ માત્ર ચાર વર્ષના ટુંકા સમયગાળામાં અંદાજે ચારથી પાંચ વખત ઓવરબ્રિજ પર ગાબડા પડી ચુક્યા છે. જેથી ઓવરબ્રિજ નિર્માણની કામગીરીમાં નબળી ગુણવત્તાની કામગીરી કરવામાં આવી હોવાનો આક્ષેપ શહેરીજનો દ્વારા લગાવાયો છે. 

  તેમજ જે-તે સમયે પાલિકા તંત્ર દ્વારા તાબડતોબ રીપેરિંગ કામ હાથ ધરી સંતોષ માનવામાં આવ્યો હતો. તેવામાં આ ઓવરબ્રિજ પર ફરી હાલ અંદાજે ૩ થી ૪ ફૂટનો એક ભાગ બેસી જતા લોકો જીવના જોખમે પુલ પરથી પસાર થઈ રહ્યાં છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા ઓવરબ્રિજ પર ટ્રેકટરની આડાશ મુકી નીચેથી રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યું છે. 

ઓવરબ્રિજની નબળી અને હલકી ગુણવત્તાની કામગીરી અંગે શહેરીજનો દ્વારા અનેક વખત પાલિકા તંત્રને રજૂઆત કરી જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે પરંતુ પાલિકા તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર સામે કોઈજ પગલા લેવામાં આવ્યા ના હોવાથી તેમજ હાલ યોગ્ય રીતે રીપેરીંગ કામ હાથ ધરવાને બદલે માત્ર ટ્રેકટરની આડાશ મુકવામાં આવતા તંત્ર કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યું હોવાનો આક્ષેપ શહેરીજનોમાંથી ઉઠયો છે. 

તેમજ પાલિકા તંત્ર દ્વારા ઓવરબ્રિજનું યોગ્ય સમારકામ કરાવવામાં આવે તથા કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *