ઘેરથી ભાગેલા પ્રેમી પંખીડાની બાઈક ગરનાળા સાથે અથડાઈ : પ્રેમીનું મોત
Updated: Mar 30th, 2024
Accident Death in Vadodara : પાદરાની સંતરામનગર સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ ઉદેસિંહ પરમારની 19 વર્ષની પુત્રી દિવ્યાને પાદરામાં બરફ ફેક્ટરીની બાજુમાં આવેલ સામરકુવા ફળિયામાં રહેતો મેહુલ મગન મકવાણા ગઈ રાત્રે પોતાની બાઈક ઉપર ભગાડી ગયો હતો. બંને બાઈક પર જતા હતા તે વખતે સાગમાંથી રાયપુરા કેનાલ ઉપરના રામપુરા ગામની સીમમાં ગરનાળા સાથે બાઈક ધડાકાભેર અથડાઈ હતી આ ઘટનામાં મેહુલ મકવાણાનું મોત નિપજ્યું હતું. જ્યારે દિવ્યાને ઈજા થતાં સારવાર માટે ખસેડાઈ છે મહત્વની વાત એ છે કે મેહુલ દિવ્યાને ભગાડી ગયો તેની જાણ દિવ્યાના પિતા પ્રવીણને થતા તેઓ પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા માટે ગયા હતા. તે વખતે જ પુત્રીને થયેલા અકસ્માતની જાણ થતા તેઓ પોલીસ સ્ટેશનમાંથી અકસ્માત સ્થળે ગયા હતા. બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.