અમરેલી બેઠકના વિરોધ વચ્ચે ભાજપના પ્રભારી દ્વારા પ્રથમ પ્રતિક્રિયા
- લોકસભા ઉમેદવાર મુદ્દે કોઈ વિરોધ નથી:ભૂપેન્દ્રસિંહ
- રૂપાલાના વિરોધ મુદ્દે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન
- પ્રયત્ન ચાલી રહ્યા છે, સુખદ અંત આવશે:ભૂપેન્દ્રસિંહ
અમરેલીના રાજુલા વિધાનસભા બેઠક ઉપર ભાજપનું સૌથી મોટું કાર્યકર્તા સંમેલન મળ્યું હતું. પ્રભારી અને પૂર્વ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ ઉમેદવાર ભરત સુતરીયા, ધારાસભ્ય કૌશિક વેકરીયા, ધારસભ્ય હીરા સોલંકી, ધારાસભ્ય મહેશ કસવાળા, ધારાસભ્ય જે.વી.કાકડીયા, પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર સહિત નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વચ્ચે અમરેલીના વિવાદ પર ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, અમરેલીમાં ઉમેદવાર ભરત સુતરીયા જ રહેશે.
આ અંગે અમરેલીમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છેકે, અમરેલીમાં ઉમેદવાર ભરત સુતરીયા જ રહેશે અને તેમને 5 લાખની લીડથી જીતાડવા માટે તમામ કાર્યકર્તાઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. અહીં લોકસભા ઉમેદવાર મુદ્દે કોઈ વિરોધ નથી.
જ્યારે બીજી તરફ ક્ષત્રિય સમાજના રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે ચાલી રહેલા વિરોધ અંગે જણાવ્યું કે, પ્રયત્ન ચાલી રહ્યા છે, જેના ટૂંક સમયમાં સુખદ અંત આવશે.
આ તરફ નોંધનીય બાબત એ પણ બની કે, ભાજપ નેતા પૂર્વ સાંસદ નારણ કાછડીયાની સૂચક ગેર હાજરી સામે આવી હતી. ભાજપ માંથી ટિકિટ કપાયા બાદ નારણ કાછડીયા એક પણ કાર્યક્રમમાં હાજર રહેતા નથી. જ્યારે કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ ભુપેન્દ્ર સિંહ ચુડાસમા અમરેલી શહેરમાં દિલીપ સંઘાણી નારણ કાછડીયા સહિત નેતાઓ સાથે બેઠક યોજી શકે છે.