વડોદરાના સાંસદના પ્રયત્નોથી ખાસવાડી સ્મશાનનું લોકભાગીદારીથી નવીનીકરણ શરૂ : અંતિમ સંસ્કાર માટે અન્ય સ્મશાનગૃહોનો ઉપયોગ કરવા અપીલ

Updated: Nov 3rd, 2023
વડોદરા,તા.3 નવેમ્બર 2023,શુક્રવાર
વડોદરાના કારેલીબાગ બહુચરાજી રોડ પરના ખાસવાડી સ્મશાન ગૃહના નવીનીકરણની કામગીરી હવે શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે આપ્તજનોના અવસાન અંગે મૃતદેહના અગ્નિ સંસ્કાર કરવાની સગવડ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ખાસ વાડી સ્મશાન ગૃહ ખાતે કુલ ચાર ચિતાઓની સુવિધા હાલમાં રાખવામાં આવી છે.
અત્રે યાદ આપવું જરૂરી છે કે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા ખાનગી કંપની સમક્ષ સહાયની માંગણી કરી હતી જે આધારે ખાનગી કંપનીએ ખાસવાડી સ્મશાનના નવીનીકરણ પાછળ જે ખર્ચ થશે તે ખર્ચ કરવા સહમતી આપી હતી. જે આધારે હવે ખાસ વાળી સ્મશાનનું નવીનીકરણ કરવાની કામગીરી શરૂ કરી છે. જેથી અંતિમ સંસ્કારની પ્રક્રિયામાં ઓછી સુવિધાથી લોકોને તકલીફ પડી રહી છે જેથી કોર્પોરેશનના સત્તાવાળાઓએ અન્ય સ્મશાન ગૃહોમાં અંતિમ સંસ્કાર કરવા અપીલ કરી છે.
આપ્તજનના અવસાન નિમિત્તે અંતિમ સંસ્કાર માટે ખાસવાડી સ્મશાન ગૃહ ઉપરાંત અનુકૂળતા મુજબ વિસ્તારમાં રામનાથ અને ઠેકરનાથ સ્મશાન ગૃહની સગવડ છે એવી જ રીતે પશ્ચિમ ઝોનમાં જાગનાથ સ્મશાન ગોત્રી વાસણા ગોરવા વડીવાડી વિસ્તારમાં સગવડ છે.
આ ઉપરાંત ઉત્તર ઝોન વિસ્તારમાં હરણી, સમા, નિઝામપુરા અને છાણી વિસ્તારમાં સ્મશાન ગૃહની સગવડ છે. એવી જ રીતે દક્ષિણ ઝોન વિસ્તારમાં તરસાલી, મકરપુરા, દંતેશ્વર અને માંજલપુરમાં પણ સ્મશાન ગૃહની વ્યવસ્થા છે. જેથી આપ્તજનના અવસાન નિમિત્તે અગ્નિસંસ્કાર માટે અનુકૂળતા મુજબ જે તે સ્મશાન ગૃહનો ઉપયોગ કરવા પાલિકા તંત્ર દ્વારા જણાવાયું છે.