વડોદરામાં ટ્રાફિક્થી ધમધમતા રોડ ઉપર સ્ટ્રીટ લાઈટનો થાંભલો નમી જતા જોખમી બન્યો

Updated: Oct 31st, 2023
– પ્રતાપ નગર બ્રિજ પાસે જ સાક્ષાત યમરાજ સમાન થાંભલાનું રીપેરીંગ જરૂરી
વડોદરા,તા.31 ઓક્ટોબર 2023,મંગળવાર
વડોદરામાં ટ્રાફિક થી ધમધમતા પ્રતાપનગર વિસ્તારમાં પ્રતાપ નગર બ્રિજ ચડતા પહેલા જ રોડ ડીવાઈડરની વચ્ચે સ્ટ્રીટ લાઈટનો થાંભલો નમી ગયો છે અને ગમે ત્યારે ખાબકે તેવી પરિસ્થિતિ છે. આ થાંભલાને કારણે રોડ પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકો માથે જોખમ ઊભું થયું છે. પોલીસ હેડ કવાર્ટર સામે પ્રતાપનગર પુલ ચઢતા સ્ટ્રીટ લાઈટ વિભાગના આ થાંભલાને વહેલી તકે સીધો કરીને રિપેર કરવામાં નહીં આવે તો નગરજનોને અજવાળું આપતો આ પોલ ખાબકશે ત્યારે કોઈના પણ જીવનમાં અંધારું ફેલાવી દેશે.
હજુ થોડા સમય પહેલા જ શાસ્ત્રી બ્રિજ પાસે વીજળીનો એક થાંભલો વાંકો વળી ગયો હતો અને જોખમી બનતા તેની રજૂઆત કરવામાં આવતા તાબડતોબ મરામત કરવામાં આવી હતી. પ્રતાપ નગર બ્રિજ ઉપર બે દિવસ પહેલા ઓવરટેક કરવા જતા બે બાઈક ચાલક અથડાતા મોતને ભેટ્યા હતા. ઓવરટેક કરવાના બનાવોને લીધે જિંદગી જોખમમાં મુકાતી હોવા છતાં લોકો ઓવરટેક કરવાનું ટાળતા નથી. ઓવરટેક કરવાની ઉતાવળમાં કોઈ વાહન ચાલક ડિવાઇડર પર આ થાંભલા સાથે ભટકાઈ જાય તો આ થાંભલો સીધો નીચો પડે તેવી હાલત છે. થાંભલાના પાયામાં પણ તિરાડો પડી ગઈ છે. મકરપુરા વિસ્તારના સામાજિક કાર્યકરના કહેવા મુજબ હજારો વાહન ચાલકો અને રાહદારીઓ માટે સાક્ષાત યમરાજ સમાન આ થાંભલાનું દિવાળીના તહેવારો પૂર્વે કોર્પોરેશન દ્વારા રીપેરીંગ થઈ જાય તે જરૂરી છે.