રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ ચારના મોતથી ભય અને ગભરાટ

Updated: Oct 28th, 2023
ગુજરાતમાં હાર્ટ એટેકના સૌથી વધુ કિસ્સા સૌરાષ્ટ્રમાં
રાજકોટ સિવીલના સુપ્રિન્ટેન્ડન્ટ કહે છે જીનેટીક અને જન્મજાત ખામી વચ્ચે શરીરને વધુ શ્રમ આપવાથી હાર્ટ એટેક આવી રહ્યાનું નિષ્ણાંતોનું તારણ
રાજકોટ : રાજકોટમાં હાર્ટ એટેકથી મોતના બનાવોનો સિલસિલો યથાવત રહ્યો છે. છેલ્લા ર૪ કલાકમાં વધુ ચાર વ્યક્તિના હાર્ટ એટેકથી મોત થતા ચિંતા સાથે ગભરાટ પણ ફેલાયો છે. જો કે છેલ્લા કેટલાક સમયથી અચાનક હાર્ટ એટેકના કિસ્સા કેમ વધી ગયા છે તે કોઈને સમજાતું નથી.
રાજકોટ સિવીલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ત્રિવેદીએ જણાવ્યું કે છેલ્લા કેટલાક સમય દરમિયાન ભારતમાં સૌથી વધુ ગુજરાતમાં અને ગુજરાતમાં પણ સૌથી વધુ સૌરાષ્ટ્ર વિસ્તારમાં હાર્ટ એટેકના બનાવો જોવા મળી રહ્યા છે. જો કે તેની પાછળનું કારણ તો હજૂ સ્પષ્ટ થયું નથી. પરંતુ નિષ્ણાંતોનું એવું માનવું છે કે જીનેટીક કે જન્મજાત તકલીફને કારણે હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. આ બંને પરિબળોમાં દર્દી જયારે જકૂરીયાત કરતાં શરીરને એકસરસાઈઝ કે બીજા કોઈ કામ કરી વધુ શ્રમ આપે ત્યારે હાર્ટ એટેક આવી શકે છે. આ ઉપરાંત સ્ટ્રેસનું કારણ પણ જવાબદાર હોય શકે છે.
રાજકોટની સિવીલમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યા છે. જેના વિસેરા એફએસએલમાં મોકલવામાં આવે છે. વિસેરા રીપોર્ટ પછી કોઈ ચોકકસ નીકળી શકે તેમ છે.
રાજકોટમાં છેલ્લા ર૪ કલાકમાં જે ચાર વ્યક્તિના હાર્ટ એટેકથી મોત નિપજયા છે તેમની ઉંમર ૩૮ થી લઈ ૬૮ વર્ષ સુધીની છે.
રૈયા રોડ પર બાપા સીતારામ ચોક નજીક મીરાનગરમાં રહેતા મૂળ આફ્રિકાના કેન્યાના વતની ધીમંતપ્રસાદ ઠાકોરપ્રસાદ વ્યાસ (ઉ.વ.૬ર) ગઈકાલે રાત્રે ઘરે બેભાન થઈ જતાં સિવીલમાં ખસેડાયા હતા. જયાં તેમનું મૃત્યુ નિપજયું હતું. મોત હાર્ટ એટેકથી થયાનું ગાંધીગ્રામ-ર પોલીસે જણાવ્યું હતું.
બીજા બનાવમાં ગાંધીગ્રામના ગોવિંદનગરમાં રહેતા પરસોતમભાઈ રતિભાઈ જાદવ (ઉ.વ.પ૩) ગઈકાલે રાત્રે બેભાન થઈ જતાં સિવીલમાં ખસેડાયા હતા. જયાં તેમનું પણ મૃત્યુ નિપજયું હતું. સેન્ટ્રીંગની મજુરી કરતાં પરસોતમભાઈને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. હાર્ટ એટેકથી મોત થયાનું ગાંધીગ્રામ પોલીસે જણાવ્યું હતું.
ત્રીજા કિસ્સામાં નવા થોરાળા મેઈન રોડ પર ગોકુલપરામાં રહેતા ગુણવંતભાઈ ચનાભાઈ ચાવડા (ઉ.વ.૩૮) ગઈકાલે રાત્રે લઘુશંકા કરવા ઘરના ફળિયામાં ગયા ત્યારે એકાએક ત્યાં ઢળી પડયા હતા. જેથી સિવીલમાં ખસેડાયા હતા. જયાં તેનું મૃત્યુ નિપજયું હતું. બફના કારખાનામાં કામ કરતા ગુણવંતભાઈને હાર્ટ એટેક આવી ગયાનું થોરાળા પોલીસે જણાવ્યું હતું.
ચોથા બનાવમાં સંતકબીર રોડ પર કૈલાશધારા સોસાયટીમાં રહેતા અને શાકભાજીનો ધંધો કરતા પ્રવિણભાઈ બટુકભાઈ પરમાર (ઉ.વ.પ૩) આજે સવારે કાથરોટા ગામે માંડવાના પ્રસંગમાં ગયા હતા. જયાં અચાનક બેભાન થઈ જતાં સિવીલમાં ખસેડાયા હતા. જયાં તેનું મૃત્યુ નિપજયું હતું. હાર્ટ એટેકથી મોત નિપજયાનું આજી ડેમ પોલીસે જણાવ્યું હતું.