સસ્તા ભાવે કોલસો ખરીદવાની લાલચમાં જામનગરના વેપારીએ રૂા.23.45 લાખ ગુમાવ્યા

Updated: Oct 20th, 2023
image : Freepik
– કચ્છ અને અમદાવાદના 4 ભેજાબાજોએ બિછાવેલી જાળમાં જામનગરના વેપારી ફસાયા
– શરૂઆતમાં માલ મોકલી વિશ્ર્વાસ કેળવ્યા બાદ રૂા.23.45 લાખનો ધુંબો માર્યો
જામનગર,તા.20 ઓક્ટોબર 2023,શુક્રવાર
જામનગરના વપારીને સસ્તા ભાવે કોલસો આપવાની લાલચ આપી રૂા.23.45 લાખની છેતરપીંડી આચરનાર ગાંધીધામ અને અમદાવાદના ચાર શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાતાં પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ જામનગરના પી.એન.માર્ગ પર આવેલ ન્યુ સ્કવેર કોમર્શિયલ કોમ્પલેક્ષમાં ઈમ્પીરીયલ ફયુલસ પ્રા. લીમીટેડ નામની ભાગીદારી પેઢીમાં કોલસાનો વેપાર કરતાં આનંદભાઈ અશોકભાઈ પોપટને ગાંધીધામના રાજ કૈલાશકુમાર નામના કોલસાના વેપારીની દલાલી કરતાં શખ્સ સાથે 15 વર્ષથી પરિચિત હતા, અને તેમની સાથે વેપાર ધંધાથી જોડાયેલ હતા,
દરમિયાન ગત જાન્યુઆરી 2022 ના રોજ અય્યાચીએ એ.આર.નેચરલ રિર્સોસીસ અમદાવાદના વહિવટ કર્તા સંદીપ હરેન્દ્રકુમાર શર્માને તેમની ઓફિસ તેડી આવી આ તમને બીજા વપારી કરતા સસ્તામાં કોલસો આપશે, તેવું જણાવી એડવાન્સ પેમેન્ટ આપવાનું રહેશે. અને આ પેમેન્ટની તેમણે જવાબદારી લેતા ગત તા.03-03-2022ના રોજ રૂા.15 લાખ અને તા.17-03-2023 ના રોજ 12 લાખ અમદાવાદની પેઢીને ટ્રાન્સફર કર્યા હતા. જેથી અમદાવાદની પેઢીએ તા.21.03 ના રોજ રૂા.6.45.992 અને તા.22.04 ના રોજ રૂા.5,34,903 નો કોલસાનો જથ્થો મોકલાવેલો હતો.
ત્યારબાદ તા.18.05. ના રોજ રૂા.4,50,000 ટ્રાન્સફર કર્યા બાદ તા.19.05 ના રોજ અમદાવાદની પેઢીએ રૂા.5,60,028 નો માલ મોકલાવેલો અને સંદીપ શર્માએ વધુ પેમેન્ટ કરવાનું કહેતાં અમારૂ એડવાન્સ પેમેન્ટ રૂા. 409076 જમા હોય માલ મોકલ્યા બાદ જ બીજું પેમેન્ટ મોકલશું તેમ કહેતા સંદીપ શર્મા અને ગાંધીધામ વાળા રાજ કૈલાશકુમાર અય્યાસચીએ ફોનમાં વિશ્ર્વાસ અપાવેક્લો કે તમે અત્યારે રૂા.1,45,000નું પેમેન્ટ મોકલાવો એટલે તમારા બાકી નિકળતા તમામ રૂપિયાનો માલ આપી દેવાનો વિશ્ર્વાસ કેળવ્યો હતો.
ગત તા. 20ના રોજ વધૂ 1 કરોડ તેમના ખાતામાં મોકલી દીધા છતાં માલ ન મોકલતા અને અવાર નવાર માલ મોકલવાનું કહેવા છતાં પણ માલ ન મોકલતાં ગત તા. 22 ફ્રેબ્રુઆરીના રોજ આનંદભાઈ અને તેમના પાર્ટનર જીત કમલેશભાઈ બુધ્ધદેવ, કમલેશભાઈ બુધ્ધદેવ અને રવિભાઈ બુધ્ધદેવ તેમની અમદાવાદ સ્થિત ઓફિસે જઈ હિસાબમાં નિકળતા રૂા.23,45,200 પરત આપવાનું કહેતાં સંદીપ શર્માએ અલગ અલગ રકમના ચેક તેમજ રૂા.આઠ લાખનો માલ આપવાનું લખાણ કરી આપેલ અને તેમણે આપેલ ચેક ખાતામાં જમા કરાવતા ખોટી સહી હોવાથી ચેક પરત થયેલ આમ આ ચારેય શખ્સોએ પૂર્વ આયોજીત કાવતરૂ રચી વિશ્ર્વાસઘાત છેતરપીંડી કરતાં આ શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા સીટી બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.