જમીન માલિક “મરી ગયા છે” કહી રૂ.1.03 કરોડ પડાવી ખોટા જ જમીન દસ્તાવેજ બનાવી દીધા

Updated: Oct 13th, 2023
image : Freepik
– ગૌશાળા માટે જમીન શોધનાર સ્વામી અને સેવકે એક મહિલા સહિત આઠ વ્યક્તિ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી
વડોદરા,તા.13 ઓક્ટોબર 2023,શુક્રવાર
અમદાવાદના ધર્મપ્રિય સેવકે સ્વામીજીની સુચનાથી શિનોર તાલુકાના ઝાંઝડ ગામની જમીન ગૌશાળા બનાવવા માટે પસંદ કરી હતી. હા જમીને ના બંને માલિક ભાઈઓ હયાત હોવા છતાં કોરોનામાં મરણ ગયા છે તેમ કહી એક મહિલા સહિત આઠ વ્યક્તિએ ભેગા મળી જમીનનો ખોટો દસ્તાવેજ બનાવડાવી રૂ. 1.03 કરોડ ટુકડે ટુકડે પડાવી લઈ છેતરપિંડી કરી હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
અમદાવાદના ચાંદખેડા વિસ્તારના સોનાનગરમાં રહેતા નીતિન ચંદ્રપ્રકાશ સોની ઉંમર ૩૪ એ શિનોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે નીતિન અને સ્વામી વિજય પ્રકાશદાસજી ગૌશાળા બનાવવા માટે જમીનની શોધમાં હતા. દરમિયાન ઝાંઝડ ગામે રહેતા જયંતિ મોતી પટેલની જમીન કૌશિક પટેલે આ બંનેને બતાવી હતી અને વર્ષ 2019 ના જૂન માસની 11મી તારીખે જમીનનો વેચાણ માટે બાનાખત કરવામાં આવ્યો હતો. બાદ વર્ષ 2020 માં કોરોનાની બીમારી ફેલાતા લોકડાઉન જાહેર થયું હતું દરમિયાન નીતિન અને સ્વામીને કૌશિકે ફોન કરીને જણાવ્યું હતું કે જયંતિ મોતી પટેલ કોરોના બીમારીમાં મરણ ગયા છે. જયંતિ પટેલના હયાત વારસદારો પૈકી એમના ભાઈ વલ્લભ મોતી પટેલ અમેરિકા રહે છે. તેમને બોલાવી જમીનનો દસ્તાવેજ કરાવવા માટે સ્વામીએ જણાવ્યું હતું. ત્યારે કૌશિકે સ્વામી પાસેથી અમેરિકાની ફ્લાઇટની ટિકિટના બહાના હેઠળ રૂપિયા લીધા હતા. બાદ દિનેશ અને સ્વામીને કૌશિકે ફરી ફોન કરી કહ્યું હતું વલ્લભભાઈ ઇન્ડિયા આવી ગયા છે પરંતુ કોરોનામાં તેઓ પણ મૃત્યુ પામ્યા છે. ત્યારે જમીનના એકમાત્ર હયાત વારસદાર વલ્લભભાઈ નો દીકરો કેતન ઇન્ડિયામાં રહે છે. અને જગદીશ મોતી પટેલને પાવર ઓફ એટર્ની આપ્યા છે. તેમ જણાવી કેતન વિઠ્ઠલભાઈનો બની બેઠેલો પુત્ર બની જાય છે અને જયંતિ મોતી પટેલની જમીનમાં કોઈ જ લાભબાગ કે હિસ્સો ન હોવા છતાં જમીનનો મૂળ માલિક પોતે છે એમ કહી સ્વામી સાથે વિશ્વાસઘાત કર્યો હતો. અને દિનેશની હાજરીમાં ખોટા દસ્તાવેજ બનાવ્યા હતા. વાસ્તવમાં જયંતિ મોતી અને વલ્લભ મોતી બંને ભાઈઓ જીવિત અને સ્વસ્થ હતા. છતાં કેતન પ્રવીણ પટેલે પોતાના માતા-પિતા અને બીજા આરોપીઓની ખોટા દસ્તાવેજમાં જમીન માલિક તરીકે દર્શાવી સહીઓ કરાવી ખોટો દર્શાવેજ ઊભો કર્યો હતો ખોટું સંમતિપત્રક બનાવ્યું હતું અને સ્વામી વિજયપ્રકાશદાસજીને ગૌશાળા માટે જમીન જોઈએ છે. તેમ જણાવી ખોટો આભાસ ઉભો કરી અલગ અલગ સ્ટેમ્પ વેન્ડરો પાસે જઈ ખોટા દસ્તાવેજ કરી દસ્તાવેજો ખોટા બનાવી રોકડા અને આંગડિયા મારફતે ટુકડે ટુકડે એક કરોડ ત્રણ લાખ જેવી માતબર રકમ ભેગી કરી હતી. જેની જાણ દિનેશ અને સ્વામીને થતા છેવટે પોલીસના દ્વાર ખખડાવ્યા હતા. પોલીસે કેતન અને તેની ટોળકીના 8 સદસ્ય સામે ફરિયાદ નોંધાવી હતી.
કોની સામે ફરિયાદ થઈ છે
1. કૌશિક ઉર્ફે કવો ઉર્ફે ઉમેશ સોમા પટેલ
2 કનુ હરી પટેલ
(બંને રહે ઝાંઝડ તાલુકો શિનોર)
3. કેતન પ્રવીણ પટેલ
4. કેતન પ્રવીણ પટેલની માતા
5. કેતન પ્રવીણ પટેલના પિતા પ્રવીણ
(ત્રણે રહે મોટા ફોફળિયા તાલુકો શિનોર)
6. રમેશ વિઠ્ઠલ
7. વાસીંમ ઉર્ફે મોહસીન છત્રસંગ રાજ
(રહે માતર તાલુકો આમોદ)
8. સુરતનો જમીન દલાલ