વડોદરાના નવાપુરા વિસ્તારમાં 40 વર્ષ જૂનું પંપિંગ સ્ટેશન માથાના દુખાવા રૂપ બન્યું

Updated: Sep 1st, 2023
– ક્ષમતા મુજબ પંપિંગ સ્ટેશન કામ નહીં કરતા મલિન જળના નિકાલનો પ્રશ્ન વિકટ બન્યો
– દૂષિત પાણીની સમસ્યા પણ વકરી
– પંપીંગ સ્ટેશન અપગ્રેડ કરવા કોર્પોરેશનનું તંત્ર હવે જાગ્યું
વડોદરા,તા.1 સપ્ટેમ્બર 2023,શુક્રવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી અને ચૂંટણી વોર્ડ નં.13 માં 40 વર્ષ જૂનું પંપિંગ સ્ટેશન હજી ચાલુ રાખ્યું છે, જેના કારણે ડ્રેનેજના પાણીનો નિકાલ જૂની મશીનરીના કારણે નહીં થવાના લીધે અને પંપિંગ સ્ટેશનનો કૂવો ભરેલો રહેતો હોવાથી સવારે પીવાના દૂષિત પાણીના પ્રશ્નો સર્જાતા 35 હજારની વસ્તી તકલીફ ભોગવી રહી છે.
કોર્પોરેશનમાં મળેલી જનરલ બોર્ડની મીટીંગમાં આ વોર્ડના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરે રજૂઆત કરી હતી કે નવાપુરા વિસ્તારમાં એસએસસી બોર્ડની ઓફીસ પાસે 40 વર્ષો જુનું ગાયકવાડી સમયનું પંપીગ સ્ટેશન આવેલુ છે. જે તે સમયે વસ્તી ઓછી હતી અને વપરાશ પણ ઓછો ત્યારે ઓછી કેપેસીટીવાળા પંપોથી કામગીરી ચાલતી હતી. અત્યારે 35 હજાર જેટલી વસ્તી છે, તેથી વપરાશ પણ વધતો જાય છે. પરંતુ મલીન જળના નિકાલ માટે જુની મશીનરી અને પધ્ધતિથી કામગીરી કરવામાં આવે છે. ઓછી કેપેસીટીવાળા પંપોથી કામગીરી બરાબર થતી નથી. આ મુદ્દે વારંવાર રજુઆતો કરેલી છે . પંપીગ સ્ટેશનમાં ડ્રેનેજ ચોકઅપ અને ગંદા પાણીની સમસ્યા વારંવાર સર્જાય છે ત્યારે આ પ્રશ્ન હલ કરવો જોઈએ. દરમિયાન કોર્પોરેશનના વર્તુળોમાંથી જાણવા મળ્યું છે કે નવાપુરા પંપિંગ સ્ટેશનને અપગ્રેડ કરવાની તથા પંપિંગ સ્ટેશનની પંપિંગ મશીનરી બદલવા સહિતના અંદાજ બનાવી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. પ્રથમ પ્રયત્ને કોઈ ટેન્ડર નહીં મળતા બીજી વખત ટેન્ડર મંગાવવામાં આવ્યું છે.