જ્ઞાન સહાયકને લઈને મોટા સમાચાર, ફોર્મ ભરવાની મુદ્દત લંબાવાઈ, જાણીલો છેલ્લી તારીખ

રાજ્ય સરકારે 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકની યોજનાની જાહેરાત કરી હતી
ગઈકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો
Updated: Sep 12th, 2023
Image : pixabay |
રાજ્ય સરકારે 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકની યોજનાની જાહેરાત કરી હતી જેનો રાજ્યભરમાં ભારે વિરોધ થઈ રહ્યો છે ત્યારે હવે આ પ્રાથમિક શાળાના જ્ઞાન સહાયક માટે ફોર્મની તારીખ લંબાવાઈ છે. હવે ઉમેદવારો આગામી 17મી સપ્ટેમ્બર સુધી જ્ઞાન સહાયકના ફોર્મ ભરી શક્શે. ગઈકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો.
પ્રાથમિક શાળા માટે 18 હજારથી વધુ વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યા
રાજ્યમાં હાલ ટેટ-ટાટ પાસ ઉમેદવારો રાજ્ય સરકાર દ્વારા કરાર આધારિત જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરી રહ્યા છે અને તેના માટે ઠેર-ઠેર આવેદન પત્રો આપી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે આ યોજનાને લઈને પ્રાથમિક શાળાના જ્ઞાન સહાયકના ફોર્મ ભરવાની તારીખ લંબાવી છે. પ્રાથમિક વિભાગમાં જ્ઞાન સહાયક માટે 2 સપ્ટેમ્બરથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી જેની અંતિમ તારીખ 11 સપ્ટેમ્બર એટલે કે ગઈકાલ સુધી હતી. જો કે હવે તેની મુદ્દતમાં વધારો કરી દેવામાં આવ્યો છે ત્યારે ઉમેદવાર 17મી તારીખ સુધી ફોર્મ ભરી શક્શે. ગઈકાલ સુધીમાં પ્રાથમિક શાળા માટે 18 હજારથી વધુ વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યા છે.
જ્ઞાન સહાયકને રદ્દ કરીને કાયમી ભરતી કરવાની ટેટ-ટાટ પાસ ઉમેદવારોની માંગ
એવી જ રીતે માધ્યમિક વિભાગમાં જ્ઞાન સહાયક બનવા માટે ઓગસ્ટની 26મી તારીખથી ફોર્મ ભરાવાના શરુ થયા હતા જેની છેલ્લી તારીખ 4 સપ્ટેમ્બર હતી, જો કે તેની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો હતો અને 11મી સપ્ટેમ્બર સુધી તારીખ લંબાવવામા આવી હતી. માધ્યમિક વિભાગમાં જ્ઞાન સહાયક માટે ગઈકાલ સુધીમાં 19050 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. આ કરાક આધારિત ભરતી અંગે ટેટ-ટાટ પાસ ઉમેદવારોની માંગ છે કે જ્ઞાન સહાકને રદ્દ કરીને કાયમી ભરતી કરવામાં આવે.