કરમસદ ખાતેથી જુગાર રમતા 15 જુગારીઓ ઝડપાઇ ગયા

Updated: Aug 15th, 2023
– કુલ 7.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
– કેસ દબાવવા માટે જુગારીઓ દ્વારા રાજકીય દબાણ લવાયું હોવાની ચર્ચાઓ
આણંદ : વિદ્યાનગર પોલીસે રવિવારના રોજ વહેલી સવારના સુમારે કરમસદ ગામે દુધની ડેરી નજીક આવેલ એક ફળીયામાં ઓચિંતો છાપો મારી જુગાર રમી રહેલ ૧૫ જેટલા શખ્સોને ઝડપી પાડયા હતા. જો કે સમગ્ર કેસને દબાવવા માટે કેટલાક રાજકીય અગ્રણીઓ મેદાને પડયા હતા પરંતુ રાજકીય અગ્રણીઓનો ગજ ન વાગતા આખરે વિદ્યાનગર પોલીસે તમામ વિરુધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વિદ્યાનગર પોલીસની ટીમ રવિવારે નાઈટ પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન કરમસદ ગામે દુધની ડેરી નજીક આવેલ માસ્તર નિવાસ ફળીયામાં રહેતો નિશલ નૈલેશભાઈ પટેલ પોતાના રહેણાંક મકાનમાં બહારથી શખ્સોને બોલાવી જુગાર રમી રમાડતો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે બાતમીવાળા સ્થળે ઓચિંતો છાપો મારતા રહેણાંક મકાનના પહેલા માળે કેટલાક શખ્સો જુગાર રમી રહ્યાં હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે કોર્ડન કરીને તમામને ઝડપી પાડયા હતા. જેમાં મકાન માલિક નિશલ નૈલેષભાઈ પટેલ સહિત હિતેશભાઈ રાજુભાઈ કોટક (રહે.નાના બજાર, વિદ્યાનગર), જીતેશભાઈ ચુનીલાલ મહેતા (રહે.સ્ટેશન રોડ, કરમસદ), હિતેશભાઈ નરેશભાઈ મુનિયા (રહે.ઈસ્કોન મંદિરની બાજુમાં, વિદ્યાનગર), નિલેશભાઈ રૂપાભાઈ કોળીપટેલ (રહે.દિવ્યકમલ સોસાયટી, વિદ્યાનગર), કશ્યપકુમાર ઉમેશભાઈ પટેલ (રહે.નવા મહાદેવ પાસે, કરમસદ), અક્ષય રાજેશભાઈ કોટક (રહે.નાના બજાર, વિદ્યાનગર), લતીફ ઉમરભાઈ મેમણ (રહે.હુસેનીચોક, કંજરી), દર્શીત પ્રવિણભાઈ સોની(રહે.આણંદ-સોજિત્રા રોડ, કરમસદ), પ્રલવ ઉમેશભાઈ પટેલ (રહે.નવામહાદેવ પાસે, કરમસદ), કેતનકુમાર ઈશ્વરભાઈ પટેલ(રહે.વલાસણ), મનોજભાઈ રામસ્વરૂપ પંજાબી (રહે.ગણેશ ચોકડી, આણંદ), બળદેવભાઈ વિનુભાઈ ભોઈ (રહે.વૈશાલીનગર, વિદ્યાનગર), રામસીંગ અમરસીંગ જાદવ (રહે.હરિઓમનગર, આણંદ) અને જયેશભાઈ કંચનભાઈ માછી (રહે.હરિઓમનગર, આણંદ)નો સમાવેશ થાય છે. પોલીસે દાવ પરથી તેમજ ઝડપાયેલ શખ્સોની અંગઝડતીમાંથી મળી રોકડા રૂા. ૮૩૦૯૦ તેમજ રૂા.૧.૨૨ લાખના ૧૫ ફોન તથા ૪ વાહનો મળી કુલ્લે રૂા.૭,૮૦,૦૯૦નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.