કડાણા ડેમમાંથી પાણી છોડતા મહી કાંઠાના 45 ગામોને એલર્ટ કરાયા

Updated: Sep 17th, 2023
વડોદરા તા. 17 સપ્ટેમ્બર 2023, રવિવાર
કડાણા જળાશયમાંથી મહી નદીમાં પાણી છોડાતા વડોદરા જિલ્લાના ચાર તાલુકાના ૪૫ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. ચાર કલાકે ઉપરવાસમાથી આવતા પાણીના પ્રવાહને ધ્યાને લેતા કડાણા ડેમમાંથી વધુમાં વધુ ૧૦.૫૦ લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવાનું આયોજન છે.
ઉપરવાસમાં સ્ત્રાવ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાથી કડાણા જળાશયમાં પાણીની આવક થઇ રહી છે તેમજ મહી બજાજમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે તથા અનાસ નદીમાં પાણીની આવકમાં વધારો થઇ રહ્યો છે. કડાણાબંધની સુરક્ષા તથા ઉપરવાસમાં મહી બજાજ ડેમમાથી હાલમાં ૪,૪૩,૯૧૦ ક્યુસેક તથા અનાસમાંથી ૪,૩૭,૦૨૩ કયુસેક પાણી છોડવામાં આવેલ છે. જેને ધ્યાને લેતા કુલ ૮,૮૦,૯૩૩ કયુસેક પાણી ઉપરવાસમાંથી આવતા પાણીના પ્રવાહ ધ્યાનમાં લેતા હાલમાં કડાણા ડેમમાંથી ૭,૫૦,૦૦૦ કયુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તેને વધારી ઉપરવાસમાથી આવતા પાણીના પ્રવાહને ધ્યાને લેતા કડાણાડેમમાંથી વધુમાં વધુ ૧૦.૫૦ લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવાનું આયોજન છે.
જેને ધ્યાનમાં લઈ વડોદરા જિલ્લાના મહીકાંઠાના ડેસર તાલુકાના ૧૨, સાવલીના ૧૪, વડોદરા ગ્રામ્યના ૦૯ અને પાદરા તાલુકાના ૧૦ સહિત ૪૫ ગામોને સાબદા કરાયા છે.
આ તમામ ગામોના નાગરિકોને સાવધ રહેવા સાથે નદીમાં ન જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે તેના કારણે મહી નદીના કિનારે આવેલા વડોદરા જિલ્લાના ડેસર, સાવલી, વડોદરા ગ્રામ્ય અને પાદરા તાલુકાના લોકોને સલામત સ્થળે ખસેડવાના પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે. ડબકાના ભાઠા વિસ્તારમા 30 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે.